અમરેલી: અમરેલી પંથકમાં સમયના પરિવર્તન સાથે સમાજમાં મહત્વના બદલાવ જોવા મળી રહ્યા છે. આધુનિક ટેકનોલોજી, શિક્ષણ અને વલણમાં આવેલા ફેરફારોને કારણે વિવિધ જ્ઞાતિઓ તેમના રિવાજોમાં સુધારણો કરી રહી છે. કુરિવાજો, વ્યર્થ ખર્ચ અને દેખાવ આધારિત પ્રથાઓને દૂર કરીને સરળતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સમૂહ સ્તરે નિર્ણયો લેવાઈ રહ્યા છે. આ પરિવર્તનની લહેરમાં નાઘેરા આહિર સમાજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.રાજુલાની આહીર સમાજની વાડી ખાતે આજે નાઘેરા આહિર સમાજની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજના આગેવાનો, નારાયણી સેનાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજન ઉપસ્થિત રહ્યા હતા. ઘનશ્યામભાઈ લાખણોત્રાએ જણાવ્યું કે સમાજના હિત માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગને રાહત મળે તેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.સમાજમાં વર્ષોથી સગાઈ અને લગ્ન પ્રસંગોમાં સોનાં-ચાંદીના ભેટના રિવાજને કારણે અનેક પરિવારો પર આર્થિક બોજ પડતો હતો. કેટલાક પરિવારો દેણું લઈને કે વ્યાજે પૈસા લઈને પણ આ મોટા ખર્ચ ઝીલતા હતા. ખાસ કરીને એકથી વધુ દીકરીઓ ધરાવતા પરિવારોમાં અસમાન ઘરેણાંના કારણે મનદુ:ખ અને મતભેદ સર્જાતા હતા. ઉદાહરણ તરીકે, એક દીકરીને 30-35 લાખના ઘરેણાં અને બીજીને 3-5 લાખના ઘરેણાં મળતાં, તે પરિવારમાં અસંતુલન પેદા થતું હતું.નાઘેરા આહિર સમાજે આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સગાઈ પ્રસંગે ઓછામાં ઓછાં 3 અને વધુમાં વધુ 5 તોલા સોનું આપવું પડશે. લગ્ન સુધી કુલ 5 તોલાથી વધુ સોનું ન આપવા નક્કી કર્યું છે. ઉપરાંત ચાંદી 200 ગ્રામથી વધુ ન રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિયમો સમાજમાં પહેલીવાર અમલમાં આવશે અને સમાનતા તથા આર્થિક સંતુલન લાવવામાં મદદ કરશે.નવી નિયમાવલી સમાજમાં સમરસતા લાવવાનો પ્રયાસ છે. મોંઘવારીના આ યુગમાં નબળા વર્ગના પરિવારોને સૌથી મોટો લાભ મળશે. સામાજિક આગેવાનોના મતે, આ નિર્ણયથી સ્પર્ધા આધારિત દેખાવ બંધ થશે અને દરેક પરિવાર સમાન રીતે પ્રસંગો ઉજવી શકે તેવી પરિસ્થિતિ સર્જાશે.
બેઠકમાં સામાજિક, રાજકીય અને શૈક્ષણિક કમિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને આ નિર્ણયોનું હાર્દિક સ્વાગત કર્યું. આગેવાનોનું માનવું છે કે આવનારા સમયમાં સમાજના અન્ય ખર્ચાળ રિવાજોમાં પણ સુધારો કરીને સમાજને વધુ સુવ્યવસ્થિત, સમાનતા આધારિત અને પ્રગતિશીલ દિશામાં આગળ વધારાશે.